Saturday, April 4, 2009

ણ, ળ જેવા અક્ષરો ભારતીય ભાષામાંથી ગાયબ?

ચોંકાવનારી વાત છે. ગુજરાતી, હિન્દી સહિતની ભારતીય ભાષા, જેનું ગોત્ર સંસ્કૃત ભાષા છે, તેમાંથી અમુક અક્ષરો ગાયબ થઈ રહ્યા હોવાનું ઘણા વખતથી લાગી રહ્યું છે. અને તેનું કારણ છે રોમન લિપિ. રોમન લિપિ એટલે અંગ્રેજી ભાષા જે લિપિમાં લખાય છે તે a, b, c વગેરે.

ભારતભરમાં એક લિપિ ન હોવાના કારણે તેમજ અંગ્રેજી ભાષાના સતત વધતા જતા વર્ચસ્વના કારણે, રોમન લિપિમાં વ્યવહાર વધુ થવા લાગ્યો છે. આનું એક ઉદાહરણ. આજકાલના ફિલ્મ કલાકારોમાંના મોટાભાગનાને હિન્દી સારું નહીં આવડતું હોવાના કારણે તેમને જે સંવાદો આપવામાં આવે છે તે રોમન લિપિમાં આપવામાં આવે છે. એટલે करण લખવું હોય તો Karan લખાય. હવે ‘n’નો ઉચ્ચાર ભારતીય ભાષાઓમાં ‘ણ’ પણ થાય અને ‘ન’ પણ થાય. પરંતુ કોન્વેન્ટિયા કલાકારો ‘ણ’ ઉચ્ચાર જાણતા નથી. (કારણકે ‘ણ’ અંગ્રેજીમાં છે જ નહીં.) આથી મોટાભાગના કલાકારો હવે ‘કરણ’ના બદલે ‘કરન’ જ બોલતા થયા છે. અને માત્ર કલાકારો જ શું કામ? સમાજની સુખાકારી માટે સતત કાર્યરત રહેવાની જેમની ફરજ છે અને સાથે ભાષાની જાળવણીનું પણ દાયિત્વ જેમના માથે છે તેવા પત્રકારોના પણ આવા જ હાલ છે, ખાસ કરીને હિન્દી સમાચાર ચેનલોના પત્રકારોના.

ણ, દ, ળ, ક્ષ, જ્ઞ, ઢ, શ,ષ, સ વગેરે અક્ષરોનાં ઉચ્ચારણો બાબતે પણ આવું જ છે. ‘ણ’ની જેમ ‘ળ’નો પણ ધીમે ધીમે લોપ થઈ રહ્યો છે. ‘ળ’ને અંગ્રેજીમાં લખવું હોય તો ‘l’ લખાય. અને ‘l’નો ઉચ્ચાર ‘લ’ પણ થાય અને ‘ળ’ પણ. પરંતુ અગાઉ કહ્યું તેમ કોન્વેન્ટિયા અને હવે તો, ગુજરાતી કે ભારતીય ભાષાના માધ્યમમાં પણ બરાબર શિખવાડાતું ન હોવાના કારણે ‘l’નો ઉચ્ચાર લ જ કરાય છે.

આમ, હવે ‘ણ’ અને ‘ળ’ જેવા અક્ષરો ઉચ્ચારમાંથી ગાયબ થવા લાગ્યા છે. આ તો થઈ અક્ષરો ગાયબ થવાની વાત. પરંતુ રોમન લિપિમાં લખવાના કારણે પણ ઉચ્ચારોમાં ભારે ગોટાળા થવા લાગ્યા છે; જેમ કે, મારી જ અટક લઈએ. મારી અટક ‘પંડ્યા’ છે. તો તેની અંગ્રેજીમાં જોડણી ‘pandya’ થાય. પરંતુ ગુજરાતની બેંકો કે મોબાઇલ કંપની કે લાઇફ ઇન્સ્યુરન્સ વગેરે પ્રાઇવેટ કંપનીઓ કે આવી કંપનીઓના ગુજરાત બહાર આવેલા કસ્ટમર કેર સેન્ટરોમાંથી આવતા ફોન કે મારે કરવા પડતા ફોનમાં મારી અટક એ લોકો મોટા ભાગે ‘પાંડ્યા’ જ બોલે કારણ કે નામ –અટક વગેરે બધું જ અંગ્રેજીમાં નોંધાયેલું હોય.

મેં ‘સૌરાષ્ટ્ર સમાચાર’ અને ‘દિવ્ય ભાસ્કર’ જેવાં અખબારોમાં પહેલે પાને, અર્થાત્ દેશ વિદેશના સમાચારોના પાને કામ કર્યું છે એટલે ખબર છે કે જે સમાચારોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે પીટીઆઈ, યુએનઆઇ વગેરે , તે અંગ્રેજીમાં જ સમાચારો મોકલે છે એટલે વ્યક્તિઓનાં નામો,અટક, સ્થળનાં નામો વગેરે અંગ્રેજીમાં હોય. એટલે આવું ‘પંડ્યા’નું ‘પાંડ્યા’ થઈ જાય. હરેન પંડ્યાની હત્યાના સમાચારો વખતે હિન્દી તેમજ અંગ્રેજી ન્યૂઝ ચેનલોમાં ‘હરેન પાંડ્યા’ બોલાતું હોવાનું યાદ છે. (તેમાં તો સ્થાનિક પત્રકારો ફોન કરીને ઉચ્ચારણ સુધરાવી શકે, પરંતુ....) એ જ રીતે ગુજરાતીમાં ‘ધોળકિયા’ અટક છે. પરંતુ બોલતી વખતે તેનું ‘ઢોલકિયા’ કે ‘ધોલકિયા’ થઈ જાય છે.

હવે ગુજરાતી પરિવારની વાર્તાવાળી સિરિયલો વધી છે ત્યારે તેમાં ‘ઢોકળા’ની વાત અચૂક હોય જ. એ ‘ઢોકળા’ બોલાય છે કઈ રીતે? ‘ઢોકલા’ તરીકે! (ઇવન, જેમાં ઘણી બધી રીતે ગુજરાતીપણું સચવાય છે –બતાવાય છે તેવી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં પણ).

આવું વાઇસા વરસા પણ થાય છે. વિશ્વની અજાયબી જેવો તાજમહેલ જ્યાં આવેલો છે તે સ્થળનું સાચું નામ છે ‘આગરા’. પરંતુ સ્પેલિંગ ‘Agra’ના કારણે ગુજરાતીમાં મોટા ભાગે આગ્રા જ લખાય છે. આવું ‘હૈદ્રાબાદ’ (સાચું હૈદરાબાદ), ‘દિલ્હી’ (સાચું દિલ્લી, પરંતુ અંગ્રેજોએ Delhi – ડેલ્હી ઉચ્ચાર કર્યો અને આપણે તેનું દિલ્હી કર્યું), ‘લખનૌ’ (સાચું લખનઉ), ‘કાશ્મીર’ (સાચું કશ્મીર) વગેરે સ્થળોના નામ બાબતે છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટાના સ્પેલિંગ પરથી ગુજરાતીમાં ઘણા લોકો તેનું નામ પ્રેટી કે પ્રીટિ લખે છે! (ફિલ્મ કે ટેલિવિઝનના કલાકારો સહિતના અનેક મહાનુભાવો જેને આજકાલ સેલિબ્રિટી તરીકે ઓળખવામાં આવે છે તેઓ પોતાનું ભાવિ સુધારવા અંગ્રેજીમાં સ્પેલિંગ બદલી નાખે છે તેની વાત કરવા માટે તો અલગ બ્લોગપોસ્ટ લખવાનો વિચાર છે. પરંતુ ભાવિ સુધારવા નામનું સત્યાનાશ કરે છે, કેમ કે નામનો કંઈક અર્થ થતો હોય છે પણ સ્પેલિંગ બદલે એટલે ઉચ્ચાર પણ બદલાઈ જાય.) હિન્દી પટ્ટીમાં એક અટક બહુ જોવા મળે છે, ‘મિશ્ર’. પરંતુ સ્પેલિંગ પરથી તેને મોટાભાગના ગુજરાતીમાં ‘મિશ્રા’ જ લખે છે. આવી જ રીતે ગુજરાતીમાં ‘મહેતા’ અટક છે, પરંતુ તેના અંગ્રેજી સ્પેલિંગ Mehta ના કારણે ઘણા એવું માની બેઠા છે કે ગુજરાતીમાં ‘મહેતા’ લખાય ને હિન્દીમાં ‘મેહતા’ લખાય. એટલે હાસ્ય લેખકનું નામ ‘તારક મહેતા’ છે તે આપણને ખબર છે. તેના પરથી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બની છે તો તેનો સ્પેલિંગ Tarak Mehta Ka Oaltah Chashma (ઉલટાને અંગ્રેજીમાં લખવું હોય તો ‘ulta’ કે બહુ તો ‘oolta’ લખાય તેમાં ‘o’ પછી ‘a’ અને ‘ta’ પછી ‘h’ ક્યાંથી આવ્યા ? કદાચ ન્યૂમરોલોજી-અંકશાસ્ત્રના કારણે!) થાય છે એટલે આ સિરિયલનું નામ ગુજરાતીમાં લખવું હોય તો શું ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ લખવું જોઈએ ? ના. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ જ લખાય.

પણ આપણે, સર્વ રીતે વિદેશથી પ્રભાવિત ભારતીયો અંગ્રેજી સ્પેલિંગ લખવા બાબતે જેટલી કાળજી લઈએ છીએ તેટલી ભારતીય ભાષા બાબતે ક્યાં લઈએ છીએ? ઉપર દર્શાવ્યા તેવા ગોટાળા નિવારવા માટે શું થઈ શકે? એક ભારતીય ભાષાવાળાએ બીજી ભાષાવાળા સાથે વ્યવહાર કરવો હોય ત્યારે, પીટીઆઈ, યુએનઆઇ જેવી સમાચાર સંસ્થાઓ કે સમાચાર ચેનલો સમાચાર મોકલે કે મગાવે ત્યારે સમાચારની લિપિ દેવનાગરી એટલે કે સંસ્કૃત, મરાઠી અને હિન્દી જે લિપિમાં લખાય છે તે દેવનાગરી લિપિમાં લખાય તો આ ગોટાળો નિવારી શકાય. ભારતીય ભાષાઓ જ એવી ભાષા છે જેમાં બોલાય છે તેવું લખાય છે. (હવે તો જોકે બીજી રીતે પણ આ વિધાન સાચું પડે છે. લોકો હવે જેવી ભાષા બોલે છે તેવું જ લખવા લાગ્યા છે.) અંગ્રેજીમાં ‘bridge’માં ‘d’નો ઉચ્ચારમાં જે રીતે લોપ થાય છે તેવું ભારતીય ભાષાઓમાં નથી થતું. એટલે દેવનાગરી લિપિ ભારતભરમાં અપનાવવામાં આવે તો આ ગોટાળો નિવારી શકાય.

Friday, April 3, 2009

ગુજરાતી થઈ ગુજરાતી બોલે નહીં....

અતિ લોકપ્રિય થઈ રહેલી સિરિયલ (સબ ટીવી) ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ (ઘણા કહે છે કે મહેતા હિન્દીમાં મેહતા લખાય, પણ અરે 'બુદ્ધિમાનો'! નામ હોય કે અટક, હિન્દીમાં કે અંગ્રેજીમાં બદલાઈ ન જાય, એ તો અંગ્રેજીમાં સ્પેલિંગના કારણે થયેલી ગરબડ છે. અંગ્રેજોને બોલતા ન આવડ્યું એટલે ભરૂચનું બ્રોચ કરી નાખ્યું તો શું તે નામ બદલાઈ જશે? અંગ્રેજી અને રોમન લિપિના કારણે નામોમાં થયેલા ગોટાળા અંગે બ્લોગપોસ્ટ પછી ક્યારેક.)માં તાજેતરમાં ફિલ્મ ‘સ્ટ્રેઇટ’ના પ્રચાર માટે વિનય પાઠક આવ્યો હતો. એને લઇને સિરિયલમાં તારક મહેતા જેઠાલાલ અને દયા પાસે આવે છે. એ જાય છે ત્યારે દયા એક સવાલ પૂછે છે :

“યે પાઠક તો ગુજરાતી હોતે હૈ ના? ”

જેઠાલાલનો જવાબ : “હા.”

દયાનો સવાલ : “તો ફિર વો હિન્દી મેં ક્યૂં બોલ રહે થે?”

હજુ જેઠાલાલ જવાબ આપે તે પહેલાં દયા ટપુને શાળાએ મૂકવા જવા રવાના થઈ જાય છે.

પ્રશ્ન તો વાજબી છે. ગુજરાતી હોય અને ગુજરાતી સાથે હિન્દીમાં કેમ બોલે? આ પ્રશ્ન મને પણ ઘણાં વર્ષોથી ખટકી, ખૂંચી રહ્યો છે, ખાસ કરીને 2003માં ભાવનગરથી અમદાવાદ આવ્યા પછી.

હજુ ગઈકાલની (તા.3 એપ્રિલ 2009)ની જ વાત છે. ‘અભિયાન’ની ઓફિસમાં એક ભાઈ આવ્યા. વદ્યા : “…..(પત્રકારનું નામ) હૈ?મેરે કો ઉનકો વિજિટિંગ કાર્ડ દેના થા. ” એટલે સાથી પત્રકાર મિત્રએ હિન્દીમાં જવાબ આપ્યો. હિન્દીમાં વાતચીત ચાલી. એટલી વારમાં એ ભાઈને ફોન આવ્યો. મોબાઇલમાં રિંગટોનમાં કોઈ ગુજરાતી ફિલ્મના ગીત જેવું ગીત ગૂંજ્યું. એટલે મેં કપાળ કૂટ્યું : “ધત્ તેરે કી ! આ તો ગુજરાતી જ હતો.”

ફરી એ જ સવાલ. એક ગુજરાતી માણસ જ્યારે એક ગુજરાતી સામયિક કે અખબારની કચેરીમાં આવે છે ત્યારે તેને એટલી તો ખબર હોય ને કે અહીં ગુજરાતી લોકો જ હોવાના. તો પછી હિન્દીમાં શું કામ ભરડતા હશે?

કોઈ મોબાઈલ, બ્રોડબેન્ડ, પ્રાઇવેટ બેન્ક, લાઇફ ઇન્સ્યોરન્સ આપતી પ્રાઇવેટ કંપની, શેરબજારનું દલાલીનું (અંગ્રેજીમાં કહીએ તો બ્રોકરિંગ)કામ કરતી કંપનીઓ વગેરેમાંથી આવતા ફોન મોટા ભાગે હિન્દીમાં જ હોય છે. અને દર વખતે હું સ્પષ્ટ કહું છું : “હું ગુજરાતી છું. મને હિન્દી સમજાતું નથી.” અલબત્ત, મને હિન્દી સુપેરે સમજાય છે. શુદ્ધ હિન્દી પણ સમજાય અને જાવેદ અખ્તર જે ભરડે છે તે ઉર્દૂ પણ ઠીક ઠીક સમજાય છે, પણ ગુજરાતમાં ગુજરાતીમાં કેમ બોલાતું નથી, અને શા માટે પહેલેથી કલ્પી લેવામાં આવે છે કે સામે જે વ્યક્તિ છે તે ગુજરાતી નહીં સમજનારો અને હિન્દી કે અંગ્રેજી સમજનારો જ છે? એ અકળામણ થવાના કારણે હું આવું ખોટું બોલું છું અને આવું કહ્યા પછી પેલો ભાઈ કે બહેન શુદ્ધ ગુજરાતી બોલવા લાગે છે.

હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને તે બોલાવી જ જોઈએ, પણ એ તો જે ગુજરાતી નહીં જાણનારાઓની સાથે. ગુજરાતીને પોતાની ભાષાનું અભિમાન કેમ નથી? અચ્છા, બે લોકો જે એકબીજાને સારી રીતે જાણે છે કે બંને ગુજરાતી છે તે પણ પોતાનું ‘જ્ઞાન’ પ્રદર્શિત કરવા અંગ્રેજીમાં ભરડશે અને પાછો તેનો ગુજરાતીમાં અનુવાદ પણ કરશે! જાણે કેમ બીજાને અંગ્રેજીમાં સમજ ન પડતી હોય!
‘ગણેશ સ્પીક્સ’ નામની જ્યોતિષને લગતી કંપનીમાં કામ કરતા મિત્ર બાલુજી કે બાલાજી પોતે દક્ષિણ ભારતીય છે, પણ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાથી એવું ફાંકડું ગુજરાતી બોલે છે કે કદાચ હવે ગુજરાતીઓ પણ એવું ગુજરાતી બોલતા હશે કે કેમ તે સવાલ છે. એક વાર મેં તેમને પૂછ્યું : “તમે આટલું ચોખ્ખું ગુજરાતી કઈ રીતે બોલો છો?”

તો કહે : ”રાજકોટમાં રહેતો હતો ને એટલે. અમદાવાદમાં રહેતો હોત તો આટલું ગુજરાતી આવડતું ન હોત.”

હવે તો કાર્ટૂન ચેનલો, હિન્દી ન્યૂઝ ચેનલો, હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો (સોની, ઝી, સ્ટાર પ્લસ વગેરે) ના કારણે વધુ ને વધુ હિન્દી શબ્દો આપણી ગુજરાતીમાં ‘ઘૂસણખોરી’ કરતા જાય છે. ખાસ કરીને બાળકોની ભાષા તો ભારે ખિચડી બનતી જાય છે, પછી તે ભાવનગરનાં હોય કે રાજકોટનાં! અને ભાષા પ્રત્યે ગુજરાતીઓ પહેલેથી સુષુપ્ત રહ્યા છે. અમદાવાદમાં બિનગુજરાતીઓ વચ્ચે રહેતાં કે ભણતા બાળકોની તો ગુજરાતી ભાષાની વાત જ શી કરવી! એના કરતાં કદાચ, મુંબઈનાં બાળકો વધુ સારું ગુજરાતી બોલતા હશે! અને ગુજરાતી શીખવું હોય તો અખબાર કે સામયિક વાંચવાની સલાહ આપવું તો વધુ જોખમી છે! ઘણા પત્રકારોને કહેતા સાંભળ્યા છે : જોડણી કે શબ્દોની માથાકૂટમાં પડવાનું નહીં. વાત સમજાવી જોઈએ!

અવિનાશભાઈ (વ્યાસ)એ બહુ સુંદર ગીત લખ્યું હતું : ‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર.’ પણ હવે તેને આ રીતે બદલવાની જરૂર લાગે છે :

‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે જ નહીં!’